રૂ.૫.૧૩ કરોડના ખર્ચે નિર્મિત થનારા ૪ રોડ-રસ્તાનું ખાતમૂહર્ત ૦ ૦ ૦ ૦ રૂ.૭.૧૮ કરોડના ખર્ચે નવી આરટીઓ કચેરી નિર્માણથી પૂર્વ કચ્છીઓને સગવડ ૦ ૦ ૦ ૦ ૦ ભુજ, સોમવારઃ આજરોજ અંજાર તાલુકાના હીરાપર ગામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રૂ.૫.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ ૪ રોડ-રસ્તાનું ખાતમૂહર્ત કર્યુ હતું. આ તકે રાજયમંત્રીશ્રીએ અંજાર વરસામેડી ભીમાસર રોડ પર રૂ.૭.૧૮ કરોડના ખર્ચે પૂર્વ કચ્છમાં નિર્માણ થનાર નવી આરટીઓ કચેરી માટે કચ્છીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વાતો નહીં નક્કર વિકાસ સરકારનું લક્ષ્ય છે. જેનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચે તે માટે અમે કટિબધ્ધ છીએ. માત્ર રોડ-રસ્તા, રોજગારી, આવાસા આરોગ્ય જ નહીં પરંતુ પ્રજાની તમામ પ્રાથમિક સવલતો પુરી કરવી. રાજયમંત્રીશ્રીએ અગ્રણી સ્વ.કાનજીભાઇ ગોવિંદભાઇ મહારાજને યાદ કરતાં જણાવ્યું હતું કે, નાના ગામડાનાં માણસોના વિકાસની ખેવના પુરી પાડવાની તેમની ઈચ્છાના ભાગરૂપે આજે પાંચ ગામોને જોડતા અને ખાસ મોખાણાનો રસ્તો વિકાસનું પ્રતિક છે. રૂ.૨.૫૦ કરોડના ખર્ચે બનનારા હીરાપરથી વાયા ભુરાપીર મંદિર મોખાણા રોડ, રૂ.૭૩.૯૩ લાખના ખર્ચે ચાંદરાણી-પાબુદાદા-નવાગામ-હીરાપર રોડનું તેમજ નવાગામ એપ્રોચ રોડનું રૂ.૩૫ લાખના ખર્ચે રીસરફેસીંગ અને રૂ.૧.૫૩ કરોડના ખર્ચે દુધઇ ટપ્પર રોડ પર સ્લેબડ્રેનના કામનું ખાતમૂહર્ત થતાં સંકળાયેલા તમામ ગામોના લોકો અને રોજગાર-ધંધા માટે અવર-જવરની સુવિધાઓ વધુ સરળ બનશે. આ તકે રાજયમંત્રીશ્રીએ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત જનસુખાકારીના કામો કરાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી હરિભાઇ જાટિયાએ કચ્છના વિકાસની વિગતો જણાવતાં કચ્છીમંત્રીશ્રીના માત્ર ફોન દ્વારા જ પ્રજાના કરેલા વિકાસ કામોથી સૌને માહિતગાર કર્યા હતા. અગ્રણી કાનજીભાઇ શેઠે પણ વિકાસકામોની વિગતો વિગતે જણાવી નાના ગામડાઓમાં વિકાસની વણથંભી વણઝાર હેઠળ થયેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. હીરાપરના અગ્રણીશ્રી મહાદેવભાઇ માતાએ વિકાસની વણથંભી યાત્રાના કચ્છના દીવાદાંડી વાસણભાઇ આહિર એમ ઉલ્લેખ કરીને નોન પ્લાન રોડ-રસ્તા અને રીસરફેસીંગ અને પેચવર્કના પગલે પ્રજાને મળનારી સગવડનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે હીરાપર, ટપ્પર, ચાંદરાણીના અગ્રણીઓએ રાજયમંત્રીશ્રીનું આભાર સન્માન કર્યુ હતું. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, બાબુભાઇ મરંડ, જમીન વિકાસ બેંક ચેરમેન મ્યાજરભાઇ છાંગા, અખિલ ગુજરાત કામદાર સંઘના ઉપપ્રમુખશ્રી ગોપાલભાઇ માતા તેમજ હીરાપર, મોખાણા, ચાંદરાણી, કોટડા, નવાગામ, દુધઇ, ટપ્પર, લાખાપર, પાબુડાડા, ગામના સરપંચશ્રી અને અગ્રણીઓ સહિત સામજી મહારાજ, મનજીભાઇ આહિર, કાનજીભાઇ છાંગા, ધનજીભાઇ હુંબલ, વાસણભાઇ માતા, ગીતાબેન, શાળાના શિક્ષકો તેમજ ગામ્ય મહિલાઓ, બાળકો ઉત્સાહભેર હાજર રહયા હતા.




