સુબિર તાલુકાના ‘પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા

ડાંગ જિલ્લામા ચાલતી પાણી પુરવઠાની પાંચ જુથ યોજનાઓ સમય મર્યાદામા પુર્ણ કરવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યુ

નવી પાણી પુરવઠાની યોજનાઓથી ડાંગ જિલ્લાના ૭૦ ગામોની તરસ છિપાશે

દસ ટકા લોકફાળો દુર કરવા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની રજુઆત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: 10 : રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે.

આજરોજ સુબિર તાલુકાના જારસોળ ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લામા હાલ પાણી પુરવઠા વિભાગની પાંચ જુથ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. આ જુથ યોજનાઓ મારફત ડાંગ જિલ્લાના ૭૦ ગામોની તરસ છિપાવાશે. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ડિસેમ્બર મહિના પહેલા જુથ યોજનાઓ પુર્ણ કરવા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.

ડાંગ જિલ્લામા પોલસમાળ જુથ યોજનામા ૧૮ ગામ, ધાણા જુથ યોજનામા ૧૦ ગામ, ઉમરપાડા જુથ યોજનામા ૧૦ ગામ, જામન્યામાળ જુથ યોજનામા ૭ ગામ, જ્યારે સાકરપાતળ જુથ યોજનામા ૨૫ ગામો સમાવિષ્ટ છે.

આ જુથ યોજનાઓ અમલીબનતા ડાંગ જિલ્લાના આશરે ૬૦ હજાર જેટલા લોકોને પીવાનુ પાણી મળી રહેશે.

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના અંતરિયાળ વિસ્તારના ૧૮ ગામોને સાંકળતી “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના”ની મુલાકાત પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લાના લોકો મોટે ભાગે ખતી અને મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોવાથી, પાણી પુરવઠાની રીઝોવિનેશન કામગીરીમા ૧૦ ટકા લોક ફાળો દુર કરવા, નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે મંત્રીશ્રીને રજુઆત કરી હતી.

આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના સુરત ઝોનના ચીફ એન્જીનીયર શ્રી તેજસ પરમાર, વલસાડ વર્તુળના અધિક્ષક શ્રી શશી વાઘેલા, તેમજ ડાંગના કાર્યપાલક ઈજનેર શ્રી હેમંત ઢીમ્મરે મંત્રીશ્રીને, ડાંગ જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી શ્રી રમેશભાઈ ગાવિતે ડાંગ જિલ્લામા ચેકડેમ અંગેનો ચિતાર રજુ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ બનાવવામા આવેલ ચેકડેમ, સંગ્રહ તળાવથી જળ સંચય કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. પચાંયત વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ ૭૫૬ ચેકડેમ, ૩૯૫ સંગ્રહ તળાવ, અને ૨૭૬ ઉદ્દવહન સિંચાઇ યોજના દ્વારા ૧૦,૭૩૪ હેક્ટર વિસ્તારમા સિંચાઇનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

ડાંગ જિલ્લામા પાણીની સમસ્યા દુર કરવા માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નવા ચેકડેમો માટે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ચોધરી, સુબિર ના.કા.ઇ શ્રીમતી નયનતાબેન, પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *