ઈકબાલ મેમણ હિંમતનગર





સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ચાંદરણી કેપ્ટન કલ્યાણસિંહ જુથ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે શિલાફલમ નું અનાવરણ કરી શહીદ વીર કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ને યાદ કરી વંદન કરી જિલ્લા વિકાસ અધિકારી સહિત ગ્રામજનોએ શહીદ વીર ને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી – મારો દેશ કાર્યક્રમ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોના માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ભાવિ પેઢીને આપણા દેશના ગૌરવપૂર્ણ ઇતિહાસની જાણકારી મળી રહે તેમજ તેમનામાં દેશ ભાવનાનો વિકાસ થાય દેશની માટી માટે પ્રેમ અને અહોભાવ જાગૃત કરવાના ઉમદા હેતુ થી આ કાર્યક્રમો થઇ રહ્યા છે. વધુમાં તેમણે ગ્રામવાસીઓને તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તીરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરો પર તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવના પ્રદર્શિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે ગામના શહીદ વીર કેપ્ટન કલ્યાણસિંહજીના ભાઇશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. હાથમાં માટી અને માટીના દીવા લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ સેલ્ફી લીધી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્ર્ર ગાન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦૦૦૦૦૦ સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ હિંમતનગરના ચાંદરણી ના વતની આસામ રેજીમેન્ટના કેપ્ટન કલ્યાણસિંહજી રાઠોડ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં દેશની રક્ષા માટે માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે સર્વોચ્ચ બલિદાન આપી શહીદી વહોરી હતી. ચાંદરણી ગામમાં આજે પણ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ના નામે પ્રાથમિક શાળા થકી શહીદ વીર ની યાદો ને જીવંત રાખવામાં આવી છે.