રિપોર્ટ,મયુર પટેલ
સુરત જિલ્લામાં ૩૦૦ બી.સી. (બેન્કિંગ કોરસપોન્ડન્ટ) સખી થકી બહેનોને આર્થિક પગભર બનાવવાની અનોખી પહેલ




આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાની સ્વસહાય જૂથની બહેનોને સ્વનિર્ભર બનાવવા કુબેરજી ફિનટેક કંપનીના સહયોગથી માંડવી ખાતે ૫૦ બી.સી. (બેન્કિંગ કોરસપોન્ડન્ટ) સખી નિમણૂંક અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓને ‘ડિજીટલ પેમેન્ટ’ અને ‘ડિજીટલ બેંકિંગ’ જેવા વિષયો અંગે માહિતગાર કરી બેન્કિંગ સુવિધા આપવા માટેના ઉપકરણો અને જાહેરાત માટેની સામગ્રીનું મંત્રીશ્રીએ વિતરણ કર્યું હતું. આ કીટથી બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધાની શરૂઆત કરી આત્મનિર્ભર બની શકશે.
સુરત જિલ્લાના માંડવી ખાતે સુરતની ફિનટેક કંપની ‘કુબેરજી ટેક પ્રા.લિ. આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર નારીશક્તિની પ્રગતિ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. બી.સી.સખી કીટ થકી બહેનો માટે આજીવિકાનો નવો સ્ત્રોત ઉભો થશે. સખી બહેનો ગામમાં મોબાઈલ થકી નાણાંની લેવડ-દેવડ સાથે અન્ય સેવાના ઉપયોગથી પગભર બનશે. સુરત જિલ્લામાં ૩૦૦ બી.સી. (બેન્કિંગ કોરસપોન્ડન્ટ) સખી થકી બહેનોને આર્થિક પગભર બનાવવા અનોખી પહેલ શરૂ કરવા બદલ કુબેરજી કંપનીના હોદ્દેદારોને બિરદાવ્યા હતા.
તેમણે રાજ્યમાં બહેનો માટે ITIની આગવી પહેલ કરી મહિલાઓ માટેના વિશેષ કોર્સ તૈયાર કરાયા હોવાનું અને સ્વરોજગારી માટે સખી મંડળની બહેનોને રૂ.૫ લાખની લોન ૪ ટકાના વ્યાજે મળી રહી હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આપણું ભારત ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન-૩ મિશનને સફળતાપૂર્વક પાર પાડી ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, આઝાદીના અમૃત્ત મહોત્સવના અવસરે વડાપ્રધાનશ્રી દ્વારા નારીશક્તિને નવી ઊંચાઈ બક્ષવાના અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. દેશના લગભગ ૧૦ કરોડ સ્વસહાય જૂથની મહિલાઓ પૈકી ૨ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લક્ષ્યને સાર્થક કરવામાં ‘કુબેરજી’ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લામાં ૩૦૦ બીસી સખી તૈયાર કરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૧૨૫ બીસી સખીઓ કાર્યરત થઈ છે.
આ પ્રસંગે ATDO એચ.કે ચૌધરી, DRDA સુરતના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર આશિષભાઈ દેસાઈ, કુબેરજી ટેક પ્રા.લિ.ના ફાઉન્ડર હિતેશ કનેરિયા અને CEO પુનિત ગજેરા, અને મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો, બી.સી.સખી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.