ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૫-૨૬” યોજાયો

પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવતા આજે યુવાનોઅને શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા: રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા

ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૫-૨૬” યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક શ્રી અરજણભાઈ ઓડેદરા, દ્વિતીય ક્રમે સુરતના પશુપાલક શ્રી ખંડુભાઈ પટેલ તથા તૃતીય ક્રમે મોરબીના પશુપાલક શ્રી પ્રવિણભાઈ પટેલને પશુપાલન રાજ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને ક્રમશ: રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૫૧,૦૦૦ અને રૂ. ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે પસંદગી પામેલા પશુપાલકોને ક્રમશ: રૂ. ૨૫,૦૦૦ અને રૂ. ૨૦,૦૦૦ તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે પસંદગી પામેલા પશુપાલકોને ક્રમશ: રૂ. ૨૦,૦૦૦ અને રૂ. ૧૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને રાજ્યના કુલ ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરીને તેઓને કુલ રૂ. ૯૧ લાખથી વધુની પ્રોત્સાહક રાશિ આપવામાં આવી હતી.

વધુમાં, મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, મંત્રીશ્રીએ રૂ. ૭.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમના અંતે ‘દાણ સહાય યોજના’ હેઠળ રાજ્યમાં ગાભણ-વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી આપીને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દાણ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં કૃષિ અને પશુપાલન વ્યવસાયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્ર પ્રકૃતિને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અન્ન પૂરું પાડે છે, જ્યારે પશુપાલન ક્ષેત્ર ગૌમાતાની સેવા સાથે પૌષ્ટિક આહાર સમાન દૂધ અને ખેતર માટે છાણીયું ખાતર પૂરું પાડે છે. જેના પરિણામે આજે અનેક યુવાનો અને નિવૃત્ત થયેલા શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે. આજે પશુપાલન પૂરક વ્યવસાયને બદલે સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને સાકાર કરવામાં પશુપાલન અને ડેરી ક્ષેત્ર મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. આ સંભાવનાઓને ઉજાગર કરવા તેમજ પશુપાલકોને તમામ સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર હરહંમેશ સંકલ્પબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ પશુપાલનમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું અને સફળ પશુપાલક મહિલાઓને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, મંત્રીશ્રીએ ગાયોના મળ-મૂત્રનો યોગ્ય ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ દરેક દીકરીને લગ્નમાં ગાયનું દાન (ગૌ-દાન) આપવા માટે પણ સૌને અનુરોધ કર્યો હતો.

માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલે વિજેતા પશુપાલકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પશુપાલન એ એવો વ્યવસાય છે જેમાં સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી થઈને ખભેથી ખભો મિલાવી કામ કરી રહી છે. સ્ત્રીઓ પરિવારના સભ્યોની જેમ જ પશુઓની સારસંભાળ રાખે છે, જેના કારણે આ ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. ધારાસભ્યશ્રીએ આ તકે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતા જણાવ્યું હતું કે, દરેક ખેડૂતે પોતાના પરિવાર માટે ખેતરના એક નાના ભાગમાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરી ગુજરાતના પશુપાલન ક્ષેત્રનું ચિત્ર રજૂ કર્યું હતું અને સરકારની વિવિધ પહેલો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે પશુપાલન નિયામકશ્રીએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કિરણ વસાવા સહિતના અધિકારીઓ, પશુ ચિકિત્સકો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM