
દાહોદમાં પ્રાંત કચેરીમાં શિરેસ્તેદાર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ પ્રજાપતિએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ કહે છે કે, વેક્સિન લીધા બાદ હું સંપૂર્ણ સ્વસ્થ છું. મને કોઇ પણ આડઅસર થઇ નથી. વેક્સિન બાબતે ઘણી અફવાઓ ચાલી રહી છે પરંતુ તેમાં કોઇ તથ્ય નથી. દાહોદ જિલ્લાની જનતાને હું અપીલ કરૂં છું કે, કોઇ પણ ખોટી અફવાઓ તરફ ધ્યાન ન આપે અને સમયસર વેક્સિન લઇ લે. ઉપરાંત કોરોના બાબતની સાવધાનીઓ જેવી કે માસ્ક, સામાજિક અંતર વગેરેનું પણ અવશ્ય પાલન કરવું.
અત્યારના બીજા તબક્કાના વેક્સિનેશનના તબક્કામાં તમારા ઘરના વડીલ જેમની ૬૦ કે તેથી વધુની હોય તેમને અવશ્ય વેક્સિન લેવા માટે લઇ જાઓ. કોઇ ૪૫ કે તેથી વધુ ઉંમરના ઘરના સદસ્યને અન્ય મોટી બિમારીઓ (કોમોરબીડ) હોય તેમને પણ અત્યારે વેક્સિન આપવામાં આવી રહી છે. પોતે વેક્સિન લો તેમજ બીજા લોકોને પણ વેક્સિન બાબતે માહિતી આપો અને સમયસર વેક્સિન લેવા માટે પ્રેરિત કરો. અત્યારે તંત્ર દ્વારા વેક્સિનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે એ પણ જરૂરી છે કે રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપવા સૌ નાગરિકો જાગૃત થાય અને કોરોનાની વેક્સિન બાબતે અન્ય લોકોને પ્રેરણા આપે. પોતે વેક્સિન લીધી હોય તો અન્ય સંબધીઓને તેની જાણ કરે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે તે અન્ય લોકોને પણ જણાવે. જેથી વેક્સિન બાબતે એક જાગૃકત્તાનો માહોલ ઉભો થાય.

