બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓનો અનોખો સેવાયજ્ઞઃ ઘરવિહોણા ગરીબો માટે ભોજન અને મીઠાઇ આપવાનું આયોજન કરાયું
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની ગરીબો પ્રત્યેની સંવેદનાની જિલ્લાવાસીઓ સરાહના કરી રહ્યા છે. આગામી સમયમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે પાલનપુર શહેરમાં ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ લોકોને ગઇકાલે સાંજે મીઠાઇનું વિતરણ કર્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી પરિવાર દ્વારા ફુટપાથ પર રહેતાં ગરીબ પરિવારોને સાંજનું ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ૨૦ થી ૨૫ લોકોને ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગળ જતાં તેમની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ સેવા વિસ્તારવામાં આવશે. મીઠાઇ વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, નાયબ મામલતદારશ્રીઓ સહિત મહેસૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
