
અરવલ્લી જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરુપે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસાના ટાઉનહોલ ખાતેથી માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આજના આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર સહિત જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓએ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ તરફના મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓએ દેશમાં સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે આજે પહેલી ઓક્ટોબરના દિવસે પણ દરેક સમાજના નાગરિકો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈને એક કલાકના સમયનું શ્રમદાન સમગ્ર દેશના નાગરિકો એક જ સમયે કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત થઈને આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો છે તેમ ઉમેર્યું હતું. સાથે જિલ્લાના સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે કાયમ માટે સ્વચ્છતા જાળવવા પણ માન. મંત્રી શ્રીએ અપીલ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. જિલ્લાના દરેક તાલુકા અને ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાનની ગતિવિધિ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું છે. શ્રમદાન થકી એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટર આર. એન. કુચારા,નગરપાલિકાના પ્રમુખ શ્રી નિરજભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ,
નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી.