ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ તા. ૮મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે: કુલ ૩૩૨ વિદ્યાર્થીઓને પાંચમાં દીક્ષાંત સમારોહમાં ડિગ્રી એનાયત કરાશે

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિત તેમજ અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલાધિપતિ ડૉ.હસમુખ અઢિયા ઉપસ્થિત રહેશે

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગરનો પાંચમો પદવીદાન સમારોહ તા. ૮મી ડિસેમ્બર,૨૦૨૩ના રોજ યોજાશે જેની વિગતો આપતા ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક, એમ.ફિલ અને પી.એચ.ડી સહિતના કુલ ૩૩૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. જેમાં ૩૨ સ્નાતક વિદ્યાર્થીઓ, ૨૩૭ અનુસ્નાતક વિદ્યાર્થીઓ, ૧૬ એમ.ફીલ વિદ્યાર્થીઓ અને ૪૭ પી.એચ.ડી વિદ્વાનોનો સમાવેશ થાય છે. તેમજ બી.એ ચાઈનીઝમાં ૯ વિદ્યાર્થીઓને, ૧૦ વિશ્યાર્થીઓને જર્મન સ્ટડીઝમાં અને ૧૩ વિદ્યાર્થીઓને સામાજિક વ્યવસ્થાપનમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ માટે ડિગ્રી એનાયત કરાશે.

       તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાંચમાં દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલાધિપતિ ડૉ.હસમુખ અઢિયા કરશે જ્યારે મુખ્ય અતિથિ તરીકે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિત દ્વારા ડીગ્રી એનાયત કરાશે.

       અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેષ્ઠ પરિણામ મેળવનાર કુલ ૨૧ વિદ્યાર્થીઓને ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી મેડલ એનાયત કરાશે. તેમજ શ્રીમતી વિદ્યા દેવી અગ્રવાલ, શ્રીમતી શાંતા કરિસિધપ્પા અને કવિશ્રી પિનાકિન ઠાકોર દ્વારા પ્રાયોજિત ગોલ્ડ મેડલ અર્થશાસ્ત્ર, પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અને પોસ્ટના ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ મેડલ એનાયત કરાશે.

       પત્રકાર પરિષદમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબે સહીત પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *