બ્યુરો ચીફ, નવસારી; ભરત શુક્લ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર શ્રી દાદાભાઈ નવરોજીની ૨૦૨મી જન્મજયંતિ નિમિત્તે તા.04.09.2026 ના રોજ સ્થાનિક લક્ષ્મણ હોલ ખાતે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના મેયર શ્રી અશોક ધોરાજીયા, બીજેપી સંગઠન પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય સહિતના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાદાભાઈ નવરોજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ દાદાભાઈના રાષ્ટ્રપ્રેમ, સ્વરાજના વિચાર અને ભારતની આઝાદીની ચળવળમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને તેમના આદર્શોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. નવસારીની વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો, જ્યાં સૌએ તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો.